એ ભારતીય રાજા, જેમને ભારત પ્રવેશવાની ક્યારેય મંજૂરી ન મળી

    • લેેખક, શિવાની ચૌધરી
    • પદ, ઍસેક્સ, યુકેથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

દુલીપસિંહ (1838–1893) માત્ર પાંચ વર્ષની ઉંમરે શીખ સામ્રાજ્યના મહારાજા બન્યા હતા. પરંતુ 1849માં અંગ્રેજોએ શીખ સામ્રાજ્યને બ્રિટિશ હકૂમતમાં ભેળવી દીધા પછી તેમને દેશનિકાલ કરીને બ્રિટન મોકલી દેવામાં આવ્યા.

મહારાજાએ ભારત પાછા ફરવાના અનેક પ્રયાસો કર્યા, પરંતુ દરેક વખતે તેમને પ્રવેશતા અટકાવવામાં આવ્યા.

આખરે 25 વર્ષની ઉંમરે તેમણે સફોકમાં આવેલો એલ્વેડન હૉલ ખરીદ્યો અને તેમનાં પ્રથમ પત્ની બામ્બા મ્યુલર સાથે ત્યાં સ્થાયી થયાં. બામ્બા જર્મન અને એબિસિનિયન વંશનાં હતાં.

100 કરતાં પણ વધુ વર્ષો પછી, 1996માં ઍસેક્સના હેલસ્ટેડમાં રહેતા પીટર બાન્સે આ નિવાસસ્થાનની મુલાકાત લીધી. મહારાજાના જીવન વિશે જાણ્યું તો તેમની જિજ્ઞાસા ખૂબ વધી ગઈ.

તેમણે મહારાજા વિશેની કથાઓ અને વિગતો એકત્ર કરવામાં ત્રણ દાયકા વિતાવ્યા. તેમનું કહેવું છે કે આ સંશોધન કરતી વખતે જાણે તેઓ પોતાનાં જ મૂળિયાં શોધી રહ્યા હોય એવું લાગ્યું.

બ્રિટનમાં પંજાબીઓનો ઇતિહાસ કેટલો જૂનો છે?

બાન્સના જણાવ્યા પ્રમાણે, 1850ના દાયકામાં દુલીપસિંહનું બ્રિટનમાં આગમન એ બતાવે છે કે આ દેશમાં પંજાબીઓનો ઇતિહાસ કેટલો જૂનો છે.

આ દંપતી (મહારાજા દુલીપસિંહ અને બામ્બા)ને છ બાળકો હતાં. બાન્સે જણાવ્યું કે તેમની પ્રિય રાજકુમારી કેથરિન (1871–1942) હતી.

દક્ષિણ એશિયન હેરિટેઝ માસના અંતિમ અઠવાડિયે બીબીસી સાથે વાત કરતાં 52 વર્ષીય બાન્સે જણાવ્યું, "તેમની જીવનકથા વિશે મોટા ભાગના લોકોને જાણકારી જ નહોતી."

"તેમણે નાઝી યાતના શિબિરોમાં લઈ જવામાં આવતાં અનેક યહૂદી પરિવારોને બચાવ્યા હતા."

"એ લોકો ન તો તેમના ધર્મના હતા, ન તેમની સામાજિક પૃષ્ઠભૂમિના કે ન તેમના વારસાનો તેમની સાથે કોઈ સંબંધ હતો. તેઓ તેમના માટે સાવ અજાણ્યા હતા. આ તો માત્ર શુદ્ધ માનવતા હતી."

તેમણે આગળ કહ્યું, "હું આ સંતાનો વિશે વધુ જાણવા માગતો હતો. હું પોતે પણ પરદેશથી આવીને અહીં વસેલાં માતાપિતાનું સંતાન હોવાથી તેમની સાથે એક પ્રકારની આત્મીયતા અનુભવું છું."

"મારો જન્મ અહીં ઇંગ્લૅન્ડમાં થયો છે અને હું અહીં જ મોટો થયો છું. તેથી હું એ મિશ્ર વંશનાં બાળકો વિશે જાણવા માગતો હતો, કારણ કે તેઓ વંશીય રીતે પંજાબી હતાં, પરંતુ ઉછેર અહીં થયો હતો."

1990ના દાયકામાં બાન્સે નૉરફોક અને સફોકનાં સ્થાનિક અખબારોમાં જાહેરાતો આપી હતી, જેથી રાજકુમારીઓ વિશે કોઈની પાસે વધુ માહિતી હોય તો જાણી શકાય.

તેમણે જણાવ્યું કે તેમને લગભગ 300 લોકો તરફથી જવાબ મળ્યા હતા. આ લોકોમાંથી કેટલાક રાજકુમારીઓને ઓળખતા હતા, તો કેટલાકે રાજપરિવાર માટે કામ કર્યું હતું. ઘણાં લોકોને રાજકુમારીઓ તરફથી ભેટો પણ મળી હતી.

બાન્સે આ ઐતિહાસિક ચીજવસ્તુઓ ખરીદવાની તૈયારી બતાવી હતી, પરંતુ ઘણા લોકોએ પોતાની અમૂલ્ય ચીજવસ્તુઓ સાવ મફતમાં આપી દીધી, જેથી તેમના સંગ્રહમાં તે કાયમ માટે સચવાઈ રહે.

યુકેમાં ભારતીય અને બ્રિટિશનો સહયારો વારસો ધરાવતા લોકોની કહાણી

આ સંગ્રહને પોતાના જીવનભરની મહેનત અને શોખ ગણાવતાં તેમણે કહ્યું, "મારી પાસે રાજપરિવાર સાથે સંબંધિત બે હજારથી વધુ ચીજવસ્તુઓ છે. એમાંથી મને સૌથી વધુ ગમતી ચીજોમાંની એક છે—ત્રણ રાજકુમારીઓની એક સુંદર તસવીર, જે તેમના ડેબ્યુટન્ટ બોલના સમયની છે.

"આ તસવીર રાજકુમારી સોફિયા દુલીપસિંહની હતી. તેમણે એ પોતાની ધર્મની પુત્રીને ભેટમાં આપી હતી. એ તસવીર હેમ્પટન કોર્ટ (દક્ષિણ-પશ્ચિમ લંડન)ના ફેરેડે હાઉસમાં હતી."

બાન્સે જણાવ્યું કે મહારાજાની સૌથી નાની પુત્રી સોફિયાએ જીવનભર મહિલાઓના અધિકારો માટે ચાલેલા સંઘર્ષમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સોફિયા મહિલાઓના મતાધિકાર માટે લડનારાં કાર્યકર હતાં, તેની જાણ બાન્સને તેમની ઘરકામ કરતી એક મહિલાની પુત્રી સાથે વાત કર્યા પછી થઈ હતી.

તેમના સંગ્રહમાં હવે મહારાજાનાં જૅકેટ, રાજકુમારીઓની સાડીઓ, રમકડાં, પત્રો અને ચિત્રોનો સમાવેશ થાય છે.

આમાંની ઘણી ઐતિહાસિક ચીજવસ્તુઓ પશ્ચિમ લંડનના કેન્સિંગ્ટન પેલેસમાં 'ધ લાસ્ટ પ્રિન્સેસ ઑફ પંજાબ' નામના પ્રદર્શન હેઠળ નવેમ્બર સુધી લોકો માટે પ્રદર્શિત કરવામાં આવી છે.

જસ્સા આહલુવાલિયાએ તેમનાં બહેન રમનીકે લંડનમાં યોજાયેલા પ્રદર્શન માટે સલાહકાર તરીકે કામ કર્યું હતું.

ભારતીય અને અંગ્રેજ બંને સાંસ્કૃતિક વારસો ધરાવતા અભિનેતા, કાર્યકર અને લેખક જસ્સા આહલુવાલિયાએ જણાવ્યું કે, મિશ્ર સાંસ્કૃતિક ઓળખના પોતાના અનુભવો દ્વારા તેમને ઘણી સમાનતાઓ જોવા મળી હતી.

તેમણે બીબીસીને કહ્યું, "આ જીવનકથાઓએ મારા અને મારી બહેન પર ઊંડી અસર કરી છે. તેમના અનુભવો અને અમારા અનુભવો વચ્ચે કેટલીક સમાનતાઓ છે તો કેટલાક તફાવતો પણ છે."

"તે (ઍલ્વેડન હૉલ) મને જાણે મારા જ પ્રતિબિંબ જેવું લાગ્યું. બહારથી એ તદ્દન અંગ્રેજી દેખાય છે, પરંતુ અંદરથી એ સંપૂર્ણપણે ભારતીય છે."

આહલુવાલિયાએ આગળ જણાવ્યું, "21મી સદીના ઇંગ્લૅન્ડમાં મિશ્ર સાંસ્કૃતિક વારસો ધરાવતા પંજાબી તરીકે ઊછરતાં અમે કોણ છીએ, એ સમજવા માટે અમે આ જીવનકથાઓ તરફ વળ્યાં હતાં. એ દરમિયાન અમને સમજાયું કે અમારી કથા માત્ર આધુનિક યુગની નથી. તેની પાછળ એક લાંબો ઇતિહાસ છે અને જુદી જુદી સંસ્કૃતિઓના પરસ્પર સમન્વયથી આગળ વધતા વારસાનો અમે એક ભાગ છીએ.

"આ એક જીવતો અને જીવંત ઇતિહાસ છે. એક રાષ્ટ્ર તરીકે અમે કોણ છીએ, એનો ઇતિહાસ છે.

"જો આપણે આપણા દેશનો ઇતિહાસ સાચી અને સચોટ રીતે નહીં કહીએ તો બીજા લોકો તેની કાલ્પનિક આવૃત્તિઓ ઘડશે. અને એ કાલ્પનિક વાતો એક રાષ્ટ્ર તરીકેની આપણી સાચી ઓળખ દર્શાવતી નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન