You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પન્નામાં આ મજૂરોને 50 લાખનો હીરો કેવી રીતે મળ્યો, જિંદગી કેવી બદલાઈ?
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
મધ્યપ્રદેશના પન્નામાં સાત ગરીબ મજૂરોને એક અમૂલ્ય હીરો મળ્યા બાદ હવે તેમને લાગે છે કે તેમનું જીવન બદલાઈ શકે છે.
તેમણે કહ્યું કે તેમણે બે વર્ષ પહેલાં પટ્ટે લીધેલી જમીનમાંથી એક મોટો હીરો મળી આવ્યો છે.
વજન માપતા આ હીરાનું વજન 16.96 કૅરેટ હોવાનું જણાયું અને જિલ્લા ખનીજ અધિકારી રવિ પટેલે કહ્યું કે તે કુદરતી હીરાના સૌથી બહેતરીન પ્રકારો પૈકી એક છે.
પટેલે આ હીરાને "કીમતી" ગણાવતાં કહ્યું કે ઑક્ટોબર માસમાં તેની હરાજી કરાશે. તેમણે આની કિંમત આશરે 50 લાખ રૂ. સુધી હોવાનું જણાવી.
પન્નામાં હીરો મળી આવે એ કોઈ દુર્લભ વાત નથી. આ સ્થળ ભારતના મોટા ભાગના હીરા ભંડારોનું ઘર છે.
શહેરમાં રોજગારની સીમિત તકોને કારણે, અહીંના લોકો પોતાનું નસીબ બદલવા માટે કોઈ બહુમૂલ્ય હીરાની શોધની આશા રાખે છે અને આ વિસ્તાર હીરાપ્રેમીઓ માટે એક ખાસ જગ્યા છે.
પરંતુ અહીં હીરા શોધવાનું કામ એ મળી જ જશે તેની ગૅરંટી નથી.
અહેવાલો અનુસાર, પન્નામાં મોટા ભાગના ખાણિયા દૈનિક મજૂરી કરતા મજૂરો છે, જેઓ પટ્ટાવાળા માટે કામ કરે છે - જો તેમને હીરો મળે, તો પૈસા પટ્ટાવાળાને મળે છે, ના કે ખાણિયાને.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ હાલની શોધ એવા કેટલાક મામલા પૈકી એક છે, જેમાં ખરેખર હીરો મેળવનારને લાભ થશે.
પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, પન્નાના સરોખા ગામમાં સ્થિત ખાણને અખિલેશ પાલ અને છ અન્ય લોકોએ બે વર્ષ માટે મામૂલી રકમને બદલે પટ્ટે રાખી હતી.
પાલે જણાવ્યું કે ખાણ એક વર્ષથી બંધ હતી અને હાલમાં જ ખોલવામાં આવી છે. સોમવારે ભારે વરસાદ બાદ ખાણનું નિરીક્ષણ કરતી વખતે તેમને આ ખડક દેખાયો.
તેમણે કહ્યું, "અમે ત્યાં લગભગ બે વર્ષથી ખોદકામ કરી રહ્યા હતા. પરંતુ અમને સફળતા નહોતી મળી. તેથી અમે એક વર્ષ માટે ખાણ બંધ કરી દીધી. અમે ઠીક તેની પાસે જ વધુ એક ખાણમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું."
તેમણે આગળ કહ્યું, "જ્યારે અમે નવી ખાણનું નિરીક્ષણ કરવા ગયા, તો અમે જૂની ખાણની અંદર પણ જોયું, અને ત્યાં જ અમને આ હીરો મળી આવ્યો - બિલકુલ ઉપર."
પટેલે કહ્યું કે હીરાની હરાજી ઑક્ટોબર માસમાં રખાશે. જેથી ભારત અને વિદેશના ખરીદદારો તેના માટે બોલી લગાવી શકે.
સમાચારો મુજબ, સરકારી વેચાણમાં મળેલી રકમમાં 12 ટકા રૉયલ્ટી કપાશે અને બાકીની રકમ સાત મજૂરોને સરખા ભાગે વહેંચી દેવાશે.
કેટલાક ગરીબ મજૂરો માટે, આ શોધ તેમના જીવનની દિશા બદલી નાખનારી છે - સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર તેમાંથી ત્રણના હવાલાથી કહ્યું કે હવે તેઓ પોતાનાં લગ્ન માટે છોકરી શોધશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન