You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત સામેની એ મૅચ જેમાં પાકિસ્તાનની હાર નક્કી થઈ ગઈ અને સલીમ મલિકે બાજી બગાડી દીધી
- લેેખક, રશીદ શકૂર
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, કરાચીથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
"એવું લાગતું હતું કે તેઓ મખમલના ગ્લૉવ્ઝ પહેરીને બેટિંગ કરે છે."
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ મલિકની સ્ટાઇલિશ બેટિંગ અંગે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ ગૉવરે કંઈક આમ કહ્યું હતું.
કાંડાનો ઉપયોગ કરીને સલીમ મલિકે રમેલા કેટલાક શાનદાર શૉટ્સ અને તેમની કેટલીક યાદગાર ઇનિંગ્સ આજે પણ તેમના ચાહકોને યાદ છે. પરંતુ અફસોસ એ વાતનો છે કે દુનિયા તેમની શાનદાર બેટિંગને બદલે તેમને અન્ય એક કારણથી જ યાદ કરે છે.
એટલે જ પ્રખ્યાત શાયર શેફ્તાની આ પંક્તિઓ તેમના માટે બંધબેસે છે.
"બદનામ અગર હોંગે તો ક્યા નામ ન હોગા."
હકીકત એ જ છે કે સલીમ મલિકની શાનદાર કારકિર્દીની અનેક વાતો આજે પણ લોકોની નજરમાંથી ગાયબ છે. તેનો સંબંધ અનેક શાનદાર ઇનિંગ્સ અને યાદગાર પર્ફોર્મન્સ સાથે છે.
સલીમ મલિક કઈ વાતે નારાજ થઈ ગયા હતા?
આ સવાલનો જવાબ જાણતા પહેલાં તેમની એ ઇનિંગનો ઉલ્લેખ જરૂરી છે જેમાં સદી કે બેવડી સદી નહોતી લગાવાઈ એમ છતાં પણ તેને વન-ડે ઇતિહાસની યાદગાર ઇનિંગ્સ પૈકી એક ગણવામાં આવે છે.
18 ફેબ્રુઆરી, 1987ના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં 80 હજાર પ્રેક્ષકો વન-ડે મૅચ રમી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતે 238 રન બનાવ્યા હતા. જવાબમાં, પાકિસ્તાને સારી શરૂઆત કરી હતી અને રમીઝ રાજા અને યુનુસ અહેમદે 106 રન ઉમેર્યા હતા.
યુનુસ અહેમદ 17 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યા હતા. જોકે, તેના પછી પાકિસ્તાનની વિકેટો સતત પડવા લાગી અને એક સમયે ટીમનો સ્કોર પાંચ વિકેટે 161 રન હતો.
ખરી રમત તો ત્યારે શરૂ થઈ જ્યારે સલીમ મલિક મેદાન પર આવ્યા. તેમણે ભારતીય બૉલરોને એવી રીતે હરાવ્યા કે કોઈ તેમને રોકી શક્યું નહીં.
કપિલ દેવ, મદનલાલ અને મનિન્દરસિંહ જેવા બૉલરો તેમના નિશાના પર હતા. તેમની ઓવરમાં ત્રણ કે ચાર બાઉન્ડ્રી મારવી એ સામાન્ય વાત બની ગઈ હતી.
આ ઇનિંગમાં ભારતને માત્ર એક જ તક મળી શકી હતી જ્યારે કદાચ ભારત સલીમ મલિકની વિકેટ લઈ શક્યું હોત.
જ્યારે સ્કોર 30નો હતો ત્યારે વિકેટકીપર ચંદ્રકાંત પંડિત મનિન્દરસિંહની બૉલિંગમાં સ્ટમ્પિંગ ચૂકી ગયા. પંડિત આ ભૂલને ક્યારેય ભૂલી શક્યા નહીં.
તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "મનિન્દરસિંહના બૉલ પર ઑન ડ્રાઇવ રમવા માટે સલીમ મલિક ક્રીઝની બહાર આવ્યા હતા. બૉલ મારા ગ્લવ્ઝમાંથી નીકળી ગયો અને તેને ક્રીઝ પર પાછા ફરવાની તક મળી ગઈ. તમે કહી શકો છો કે અમે એ જ ક્ષણે મૅચ હારી ગયા હતા."
આખરે તેમને ગુસ્સો કેમ આવ્યો હતો?
સલીમ મલિક કહે છે, "એ પ્રવાસમાં હું રન બનાવી રહ્યો ન હતો. તેનું એક કારણ મારો બેટિંગ-ક્રમ પણ હતો, જે ખૂબ જ નીચે રાખવામાં આવ્યો હતો."
"એક દિવસ મુદસ્સર નઝરે મને કહ્યું કે કૅપ્ટન ઇમરાન ખાન તમને પ્રવાસમાંથી પાછા બોલાવવાનું વિચારી રહ્યા છે."
"મેં મુદસ્સર નઝરને કહ્યું હતું કે મને ટોચ પર બેટિંગ કરવાની તક આપો જેથી હું કંઈક કરી શકું."
"મુદસ્સરે મને કહ્યું કે તે કૅપ્ટન સાથે વાત કરશે."
"કોલકાતા વન-ડેમાં ઇમરાન ખાને મને વનડાઉન પર બેટિંગ કરવા માટે પેડ પહેરી લેવાનું કહ્યું હતું. પરંતુ જ્યારે જાવેદ મિયાંદાદ વનડાઉન પર બેટિંગ કરવા ગયા, ત્યારે મને આશ્ચર્ય થયું. પછી અબ્દુલ કાદિર અને પછી મંજૂર ઇલાહીને મોકલવામાં આવ્યા."
"જ્યારે પણ હું ઊભો થાઉં, ત્યારે મને ઇમરાન ખાન બેસવાનો ઈશારો કરતા."
સલીમ મલિક કહે છે, "મને ઇમરાન ખાન પર ખૂબ ગુસ્સો આવ્યો હતો. વનડાઉનથી શરૂઆત કરીને, હું સાતમા નંબરે બેટિંગ કરવા આવ્યો."
"મારી સામે જ ઇમરાન ખાન પણ કપિલ દેવના હાથે બૉલ્ડ થયા. તેને કપિલ દેવના હાથે આઉટ થવું ક્યારેય ગમતું નહીં."
"જ્યારે ઇમરાન આઉટ થઈને જતા હતા, ત્યારે મેં તેમને પૂછ્યું, 'કૅપ્ટન, હવે તમે શું કરવા માંગો છો?"
"ઈમરાન ખાને ગુસ્સામાં જવાબ આપ્યો, 'જે મરજી હોય એ કરો.'
પછી જે કંઈ કરવાનું હતું એ સલીમ મલિકે કર્યું.
તેણે માત્ર 36 બૉલમાં અણનમ 72 રન બનાવ્યા અને છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને રોમાંચક વિજય અપાવ્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન