You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અમે પણ માણસ છીએ...', સુરતમાં સાપ્તાહિક રજાની માગ સાથે કામદારોનો વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
સુરતના અમરોલી વિસ્તારમાં કાદવકીચડ ભરેલા રસ્તા પરથી પસાર થઈને તમે અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં પહોંચી શકો છો, જ્યાં મોટી સંખ્યામાં એમ્બ્રૉઇડરી વર્ક કરતાં યુનિટ્સ આવેલાં છે.
છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તાર ચર્ચામાં છે કારણ કે અહીં એમ્બ્રૉઇડરી યુનિટમાં કામ કરતા હજારો કામદારો રોષમાં છે. તેમની ફરિયાદ છે કે તેઓ રોજના 12-12 કલાક કામ કરે છે છતાં અઠવાડિયામાં એક પણ રજા નથી મળતી.
તેમની માગ છે કે, "સપ્તાહમાં તેમને રવિવારે રજા મળે, રજા બદલ પગાર ન કપાય અને કામના કલાકો ઘટાડીને આઠ કલાક થાય."
આ માંગણી સાથે હજારો કામદારો સોમવારે અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં રસ્તા પર ઊતર્યા હતા. જેના કારણે પોલીસ બોલાવવી પડી હતી. આ ઘટનાક્રમમાં કામદારોને વિખેરવા પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો.
16 જુલાઈએ અમરોલીના એક ઔદ્યોગિક વિસ્તારમાં એમ્બ્રૉઇડરી વર્કર્સે ઉગ્ર વિરોધપ્રદર્શન કરીને હડતાળ પાડ્યા પછી તેની અસર કતારગામ જીઆઈડીસી અને સચીન જીઆઈડીસીમાં આવેલાં એકમો પર પણ પડી હતી અને કેટલીક જગ્યાએ કામદારોએ કામ પણ છોડી દીધું હતું.
ઘણા કારીગરો 'રવિવાર કો છુટ્ટી, આઠ ઘંટે કી ડ્યૂટી'ના નારા લગાવી રહ્યા હતા.
કામદારોને રજાનો આખો વિવાદ શું છે?
હીરા અને ટેક્સ્ટાઇલ ક્ષેત્રે અગ્રેસર સુરતમાં એમ્બ્રૉઇડરી ઉદ્યોગ પણ ધમધમે છે. આ એક જૉબવર્ક પ્રકારનું કામ છે જેમાં વેપારીઓ પાસેથી કપડું લાવવામાં આવે છે અને તેના પર એમ્બ્રૉઇડરી વર્ક કરીને પાછું આપવામાં આવે છે.
આ ઉદ્યોગમાં મોટા ભાગના કામદારો ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના છે અને તેઓ મહિને 25 હજારથી 35 હજાર રૂપિયા સુધીની કમાણી કરે છે. આ ઉપરાંત તેઓ ટાર્ગેટ પૂરો કરે તો બોનસ પણ આપવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરમાં 15મી ઑગસ્ટ અગાઉ જ કેટલાંક સોશિયલ મીડિયા ગ્રૂપમાં એવા મૅસેજ ફરવા લાગ્યા કે સપ્તાહમાં એક રજા અને બોનસ મામલે વિરોધ કરવામાં આવશે અને યુનિટ્સનું કામકાજ બંધ રાખવામાં આવશે.
ત્યાર પછી 16 ઑગસ્ટે અમરોલીના ઔદ્યોગિક વિસ્તારોમાં વિરોધ શરૂ થયો. હજારો કામદારો કામકાજ બંધ કરીને રસ્તા પર આવી ગયા અને નારા લગાવવા લાગ્યા હતા.
અમરોલીમાં વેદાંત ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં કામ કરતા રંજન ચંદ્રવંશી નામના એક કામદારે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આ કામદારો ઘણા સમયથી અઠવાડિયામાં એક રજાની માંગણી કરે છે, પરંતુ કારખાના માલિકો તેમની વાત સ્વીકારવા તૈયાર નથી.
તેમણે કહ્યું કે "મને મહિને 30 હજાર રૂપિયા પગાર મળે છે, પરંતુ તેમાં અમારે દરરોજ 12 કલાક કામ કરવું પડે છે. રવિવારે પણ રજા નથી મળતી. અમે એક રજા માગીએ તો એક દિવસનો પગાર કાપી નાખવાની ધમકી મળે છે."
રંજનની જેમ જ સોનુસિંહ નામના કામદાર પણ અહીં એમ્બ્રૉઇડરી યુનિટમાં કામ કરે છે. તેઓ બંને ઝારખંડથી આવેલા છે. સોનુસિંહ બીએસસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
તેઓ કહે છે કે "ઝારખંડમાં રોજગારીની સ્થિતિ સારી નથી તેથી હું સુરત કામ કરવા આવ્યો છું. અહીં કામ મળે છે, પરંતુ એક પણ રજા નથી મળતી. પૂરો પગાર જોઈતો હોય તો સતત કામ કરતા રહેવું પડે છે. માત્ર હોળી કે દિવાળી જેવા તહેવારો વખતે જ રજા મળે છે."
સુરતમાં અમરોલી, કતારગામ અને સચીન જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં એમ્બ્રૉઇડરી કામદારોએ રજાની માંગણી સાથે વિરોધ કર્યો ત્યાર પછી પોલીસ બોલાવવામાં આવી હતી.
સોમવારે અમે વેદાંત ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટ આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે ત્યાં મુખ્ય માર્ગો પર પોલીસ હાજર હતી અને કામદારો પર નજર રાખવામાં આવતી હતી.
આઝાદ અલી નામના એક કામદારે બીબીસી ગુજરાતીને કહ્યું કે "અહીં પગારની તારીખના પણ ધાંધિયા છે. મહિનાની કઈ તારીખે પગાર મળશે તે નક્કી નથી હોતું. અમને અહીં પગાર ઉપરાંત રહેવાની સુવિધા કારખાનેદાર તરફથી આપવામાં આવે છે. પરંતુ જમવાના અને બીજા બધા ખર્ચ અમારે ઉઠાવવાના હોય છે."
તેઓ કહે છે કે "અમે પણ માણસ છીએ. કોઈ પણ મજૂર પોતાનું વતન છોડીને આટલે દૂર આવ્યો હોય ત્યારે તેને અઠવાડિયામાં એક દિવસ આરામ તો જોઈએ ને. અમે ઘણી વખત કેટલાય મહિના સુધી વતન જઈ શકતા નથી. પરિવારના લોકોનું મોઢું જોવા તરસીએ છીએ. કેટલાય સમય સુધી બાળકોને પણ જોઈ શકતા નથી. હવે કેટલાક લોકોએ આ મુદ્દો ઉઠાવીને વિરોધપ્રદર્શન શરૂ કર્યું છે. પરંતુ આગળ શું થશે તે નક્કી નથી."
'મોંઘવારીમાં પગાર પૂરો નથી પડતો'
એમ્બ્રૉઇડરી કારખાનાના કામદાર રંજન ચંદ્રવંશીએ કહ્યું કે "અગાઉ અમે આઠ કલાક કામ કરતા હતા. હવે તો કાયદેસર રીતે 12 કલાક કામ કરવું જ પડે છે. કામના કલાકો વધવાથી પગાર થોડો વધ્યો છે, પરંતુ કામ દોઢ ગણું થઈ ગયું છે. અમે ચોક્કસ ટાર્ગેટ પાર પાડીએ તો રોજના 50 અથવા 60 રૂપિયા બોનસ મળે છે. પણ તેનાથી તો આખા મહિનામાં માંડ 1500 થી 1800 રૂપિયા મળે છે. અત્યારે જે મોંઘવારી વધી છે જેમાં આ ઓછું પડે છે."
બીજી તરફ કેટલાક એમ્બ્રૉઇડરી યુનિટના માલિકો કહે છે કે ઉદ્યોગને નુકસાન પહોંચાડવા માંગતાં કેટલાંક તત્ત્વો બિનજરૂરી આવો વિવાદ ઊભો કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે, એમ્બ્રૉઇડરીના ધંધામાં સતત મંદી આવ્યા કરે છે અને તહેવારોની સિઝન વખતે માંડ કમાણી કરવાની તક મળે છે. તે વખતે કારખાનેદારો પર દબાણ લાવવા માટે કેટલાક બહારના લોકો કામદારોને ઉશ્કેરી રહ્યા છે.
બિપિન અકબરી નામના એક એમ્બ્રૉઇડરી યુનિટના માલિકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે છેલ્લાં બે વર્ષમાં કામદારોને પગાર ઘણો વધી ગયો છે. અત્યારે તહેવારોની સિઝન આવી છે તેથી બે-બે શિફ્ટમાં કામ કરવું પડે છે. આવામાં અમુક લોકો જાણી જોઈને આ વિવાદ ઊભો કરી રહ્યા છે જેથી માલિકો દબાણમાં આવે.
તેમનું કહેવું છે કે સુરતમાં પહેલેથી જ સપ્તાહના સાતેય દિવસ કામ કરવાનો નિયમ રહ્યો છે. તે મુજબ જ પગાર નક્કી થયો હોય છે. હવે જો અમે મહિનામાં ચાર દિવસની રજા આપીએ તો તે અમને પરવડતું નથી.
તેમના કહેવા પ્રમાણે "એક જ કારખાનામાં સતત કામ કરતા હોય એવા મજૂરો પણ બહુ ઓછા હોય છે. મોટા ભાગના લોકો 15-20 દિવસ કે બે-ત્રણ મહિના કામ કરે છે. જ્યાં વધુ પગારની ઑફર આવે ત્યાં કામદારો જતા રહે છે. તેથી તેની અસર એમ્બ્રૉઇડરી યુનિટ્સને પડે છે. આવાં યુનિટ્સ ચલાવવા માટે લાખો રૂપિયાની લોન લીધી હોય છે અને બજારનો માહોલ એવો છે કે વારંવાર મંદી આવતી રહે છે."
કામદાર, માલિક અને બજારની હાલત
શિવશંકર પાંડે નામના એક એમ્બ્રૉઇડરી યુનિટના માલિક એક સમયે પોતે કામદાર તરીકે કામ કરતા હતા. હવે તેઓ ઉધનામાં પોતાનું કારખાનું ચલાવે છે.
તેમનું માનવું છે કે કામદારોને અઠવાડિયે એક રજા મળવી જ જોઈએ, પરંતુ ઉદ્યોગની સ્થિતિ એવી છે કે તેને ચાલુ પગારે રજા આપવી પરવડે તેમ નથી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "સુરતનાં બધાં યુનિટ્સ ચોવીસ કલાક માટે કામ કરે છે. હવે કારીગરોની માંગણી છે કે અમને રવિવારની રજા આપો અને પગાર ન કાપો. સુરતમાં મોંઘવારી વધી તેની સામે વધુ કમાણી કરવા માટે કારીગરો બેની જગ્યાએ ત્રણ મશીન ચલાવે છે. પરંતુ આ લાંબું ચાલી શકે તેમ નથી."
તેઓ કહે છે કે આ બધી સમસ્યાનું મૂળ કારણ બજાર છે. અત્યારે માલની અછત છે અને આ લાઇનમાં વર્ષમાં છ મહિના તો મંદી હોય છે. જ્યારે મંદી ન હોય ત્યારે પણ ઓછા રેટ પર કામ મળે છે. આ ઉપરાંત બિલિંગ સાઇકલ અગાઉ 45 દિવસની હતી તે હવે 120 દિવસ થઈ ગઈ છે, તેથી અમારા રૂપિયા લાંબા સમય સુધી ફસાયેલા રહે છે.
મજૂર કાયદાનું પાલન કેમ નથી થતું?
દરમિયાન કામદારો સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ગુજરાતમાં નવા મજૂર કાયદા લાગુ થયા પછી અસંગઠિત ક્ષેત્રના કામદારોની હાલત વધુ ખરાબ થઈ છે.
ગુજરાત મજદૂર સંઘર્ષ સમિતિના શરદ શર્માએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "સુરતમાં અમરોલી, કતારગામ, ઉધના, ભેસ્તાન, કડોદરા અને પલસાણામાં એમ્બ્રૉઇડરી યુનિટ્સ આવેલાં છે. અહીં મજૂરોએ જે વિરોધ શરૂ કર્યો તે સ્વયંભૂ છે અને તેના કોઈ નેતા નથી."
તેઓ કહે છે કે "આ કામમાં 15 દિવસની રાતપાળી અને 15 દિવસની દિવસની પાળી હોય છે. તેમાં મજૂરોએ રોજના અઢીથી ત્રણ લાખ ટાંકા (સ્ટીચ) પૂરા કરવાના હોય છે. 12 કલાકમાં તેનાથી વધુ સ્ટીચ પૂરા કરે તો બોનસ મળે છે. મજૂરોની સમસ્યા એ કે બોનસમાં પણ કારખાના દીઠ ઘણો તફાવત હોય છે."
તેમનું એમ પણ કહેવું છે કે આ માટે માત્ર એમ્બ્રૉઇડરી યુનિટના માલિકો પર દોષ નાખવો યોગ્ય નહીં ગણાય કારણ કે બજારમાં સ્થિરતા નથી. આ કોઈ મૅન્યુફૅક્ચરિંગ કામ નથી, પરંતુ જૉબવર્ક છે. આ ઉપરાંત તહેવારો વખતે બધો વર્કલોડ લેબર પર નાખવામાં આવે છે અને નવા લેબર મળતા નથી.
તેઓ કહે છે કે, "સુરતમાં લેબર લૉનું વ્યવસ્થિત પાલન થતું જ નથી. આ ઉપરાંત એમ્બ્રૉઇડરી યુનિટ્સ ફૅક્ટરી ઍક્ટમાં નથી આવતા, તેથી યુનિટ માલિકો તેને ગુમાસ્તાધારા હેઠળ ચલાવે છે."
મહત્ત્વની વાત એ છે કે સુરત જેવા મોટા ઔદ્યોગિક શહેરમાં ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ઑફ લેબરથી કામ ચલાવવામાં આવે છે. વડોદરાના ડેપ્યુટી લેબર કમિશનર એ. એન. ડોડિયા સુરતનો હવાલો સંભાળે છે અને માત્ર મંગળવાર અને શુક્રવારે સુરતની ઑફિસે આવે છે. વારંવાર પ્રયાસ કરવા છતાં તેમનો સંપર્ક થઈ શક્યો નથી. સુરતના આસિસ્ટન્ટ લેબર કમિશનર પણ વાત કરવા માટે ઉપલબ્ધ ન હતા. તેમની સાથે આ મામલે વાત થશે ત્યારે અહેવાલને અપડેટ કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન