રાજ્યસભાની ખાલી પડી રહેલી ચાર બેઠકો માટે ભાજપના ઉમેદવારો 'બિનહરીફ' જાહેર – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

ગુજરાતની ખાલી પડી રહેલી રાજ્યસભાની ચાર બેઠકો માટે થયેલી ચૂંટણીનાં પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવાયાં છે.

નોંધનીય છે કે ગત 1 જૂનના રોજ ભારતના ચૂંટણીપંચે ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો માટેની દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરી હતી.

ભાજપે ગત 4 જૂનના રોજ આ બેઠકો માટે પોતાનાં ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં.

ચૂંટણી પરિણામ અંગે જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ પ્રમાણે 11 જૂનના રોજ નૉમિનેશન પાછા ખેંચવાનો સમય પૂર્ણ થતાં ચાર બેઠકો સામે ચાર ઉમેદવારો હોઈ ચૂંટણી બિનહરીફ થઈ હતી. જે બાદ ચૂંટણી અધિકારી અને ગુજરાત વિધાનસભાના સચિવે ભાજપના જિતેન્દ્ર કણઝારિયા, માનસિંહ પરમાર, રાજેશ શુક્લ અને મુકેશભાઈ રાઠવાને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા.

નોંધનીય છે કે જે સભ્યોની મુદત પૂર્ણ થઈ રહી છે તેમાં રામભાઈ હરજીભાઈ મોકરિયા, નરહરિ અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબહેન બારાનો સમાવેશ થાય છે.

ન્યૂઝક્લિક મામલામાં એફઆઇઆર અને ઇડી તપાસ રદ, દિલ્હી હાઇકોર્ટે પોતાના આદેશમાં શું કહ્યું?

દિલ્હી હાઇકોર્ટે સમાચાર પોર્ટલ ન્યૂઝક્લિક અને તેના સંસ્થાપક અને પ્રમુખ સંપાદક પ્રબીર પુરકાયસ્થ વિરુદ્ધ દિલ્હી પોલીસની એફઆઇઆર અને પ્રવર્તન નિદેશાલય (ઇડી)ની મની લૉન્ડ્રિંગની તપાસને રદ કરી દેવાઈ છે.

લાઇવ લૉ અને બાર ઍન્ડ બેન્ચ પ્રમાણે, નિર્ણય સંભળાવતી વખતે દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે 'આ કાર્યવાહી સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકારત્વ વિરુદ્ધ શક્તિઓના દુરુપયોગનો મામલો છે.'

ન્યાયાધીશ નીના બંસલ કૃષ્ણાએ આ નિર્ણય 29 મેના રોજ આપ્યો હતો, પરંતુ 10 જૂનના રોજ તે અપલોડ કરાયો. આ નિર્ણયમાં કોર્ટે આર્થિક અપરાધ શાખા (ઇઓડબ્લ્યૂ)ની એફઆઇઆર અને તેના આધારે શરૂ કરાયેલા પીએમએલએની કાર્યવાહીને રદ કરી નાખી.

કોર્ટે કહ્યું કે, "હાલની કાર્યવાહી ન માત્ર દુર્ભાવનાપૂર્ણ છે, બલકે અરજદારોના સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકારત્વ વિરુદ્ધ શક્તિઓનો મનફાવે એવો હુમલો અને દુરુપયોગ પણ છે."

હાઇકોર્ટે ઇડીના દાવાને 'સંપૂર્ણપણે ખોટો અને આધારહીન' માન્યો.

પ્રબીરી પુરકાયસ્થને મે 2024માં સુપ્રીમ કોર્ટના આદેશ પર છોડી મુકાયા હતા. તેમની ઑક્ટોબર 2023માં ચીન પાસેથી ગેરકાયદેસર ફંડિંગ લેવાના આરોપમાં યુએપીએ અંતર્ગત ધરપકડ કરાઈ હતી.

બાર ઍન્ડ બેન્ચ પ્રમાણે, ન્યાયમૂર્તિ નીના બંસલ કૃષ્ણે પોતાના આદેશમાં કહ્યું હતું કે મામલામાં લગાવાયેલા આરોપોના સમર્થનમાં ગુનાનાં આવશ્યક તત્ત્વ નહોતાં મળી આવ્યાં.

ઈરાને અમેરિકાનાં 18 સૈન્ય ઠેકાણાંને નષ્ટ કર્યાં હોવાનો કર્યો દાવો

ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડે એક સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં દાવો કર્યો છે કે ગુરુવાર વહેલી સવારે આઈઆરજીસીની ઍરોસ્પેસ ફોર્સ તથા નેવીનાં લડાકૂ વિમાનોએ 'હુમલાખોરોને દંડ આપ્યો છે અને અમેરિકાની સેનાની ઉશ્કેરણીની કાર્યવાહીનો જવાબ' આપ્યો છે.

જેમાં અલી અલ સલેમ (કુવૈત), અહમદ અલ જાબેર (કુવૈત) અને શેખ ઈસા ઍરબેઝ (બહેરીન) પર ઉપસ્થિત અમેરિકાનાં 18 મહત્ત્વનાં સેન્ય ઠેકાણાં પર હુમલો કરીને નષ્ટ કરી દેવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઈરાનના આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ નથી થઈ શકી પરંતુ કુવૈત આર્મીના જનરલ સ્ટાફે ઘોષણા કરી છે કે ઍર ડિફેન્સ સિસ્ટમ દુશ્મનનાં હવાઈ લક્ષ્યાંકોને ઇન્ટરસેપ્ટ કરી રહી છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કુવૈત આર્મીએ કહ્યું, "તમામ લોકોને આગ્રહ છે કે તેઓ સંબંધિત અધિકારીઓ તરફથી જારી કરવામાં આવેલા સુરક્ષા નિર્દેશો અને ગાઇડલાઇનનું પાલન કરે."

કુવૈતની સેનાએ લોકોને આગ્રહ કર્યો છે કે માત્ર અધિકારિક સ્રોતોથી મળેલી જાણકારી પર જ ભરોસો કરે.

બીબીસી ફારસી સેવાના જણાવ્યા પ્રમાણે, કુવૈતે ઈરાની હુમલાને કારણે પોતાનું હવાઈ ક્ષેત્ર અસ્થાયી રીતે બંધ કરી દીધું છે.

ઈરાને અમેરિકાનાં 18 મહત્ત્વપૂર્ણ ઠેકાણાં પર હુમલો કરવાનો દાવો કર્યો

બહેરીનના ગૃહ મંત્રાલયે નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વિનંતી કરી છે.

સોશિયલ મીડિયા પર એક સંદેશમાં, બહેરીનના ગૃહ મંત્રાલયે નાગરિકો અને રહેવાસીઓને શાંત રહેવા અને નજીકના સલામત સ્થળે ખસી જવા વિનંતી કરી.

ગુરુવારે સવારે અમેરિકાના હુમલાના એક કલાક પછી, ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીઓએ દેશની સેનાને ટાંકીને કહ્યું છે કે, "બહેરીનમાં અમેરિકાનાં લશ્કરી ઠેકાણાં પર હુમલો કરવામાં આવ્યો છે. સૈન્યના ડ્રૉન હુમલામાં અમેરિકાની પાંચમી ફ્લીટના પેટ્રિઅટ સિસ્ટમના કૉમ્યુનિકેશન એન્ટેના અને રડારને નિશાન બનાવવામાં આવ્યાં હતાં."

ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNA એ રિવૉલ્યુશનરી ગાર્ડને ટાંકીને જણાવ્યું હતું કે, અમેરિકાની કાર્યવાહીના જવાબમાં તેણે બહેરીનમાં એક ઍરપૉર્ટ અને કુવૈતમાં બે અન્ય ઠેકાણાં સહિત '18 મહત્ત્વપૂર્ણ ઠેકાણાં' પર હુમલો કર્યો હતો.

અગાઉ, અમેરિકાએ ઈરાનમાં અનેક સ્થળો પર હુમલો કર્યો છે. તેના જવાબમાં, ઈરાને કહ્યું છે કે તે અમેરિકન હુમલાઓ સામે ઝૂકશે નહીં અને બદલો લેશે.

ઓમાનના કિનારા પાસે 24 ભારતીય ક્રૂ મેમ્બર્સવાળા જહાજ પર હુમલો, ત્રણ ભારતીય ગુમ, વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ભારતના વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે બુધવારે 10 જૂને ઓમાન કિનારા નજીક 24 ભારતીય ક્રૂ મેમ્બર્સને લઈ જતાં એક કૉમર્શિયલ જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 24 ભારતીય ક્રૂમાંથી 21 લોકોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે અને ત્રણ ભારતીયો ગુમ છે.

જે જહાજ પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે તેનું નામ 'સેટ્ટેબેલો' હોવાનું કહેવાય છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફરી શરૂ થયેલા લશ્કરી સંઘર્ષ બાદ મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે.

વિદેશ મંત્રાલયે 10 જૂને સાંજે નિવેદન જાહેર કરીને આ હુમલાની નિંદા કરી હતી.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, "અમે આજે ઓમાન કિનારા નજીક કૉમર્શિયલ જહાજ સેટ્ટેબેલો પર થયેલા હુમલાની નિંદા કરીએ છીએ. જહાજ પર હાજર 24માંથી 21 ભારતીય ક્રૂ મૅમ્બર્સને બચાવી લેવાયા છે અને ત્રણ ભારતીયો લાપતા છે. આપણો દૂતાવાસ ઓમાનમાં સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યો છે."

અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને શું કહ્યું?

અમેરિકાએ કહ્યું છે કે તેણે ઈરાનમાં ઘણે ઠેકાણાંને નિશાન બનાવીને હુમલા કર્યા છે.

ઈરાનમાં યુદ્ધનું વ્યવસ્થાપન કરી રહેલા ખાતમ અલ-અનબિયા મુખ્યાલયે અમેરિકાના આ નવા હવાઈ હુમલાના એક કલાક પછી નિવેદન જારી કર્યું છે.

બીબીસી ફારસી સેવાના જણાવ્યા પ્રમાણે, "હાલ જોખમને કારણે હોર્મુઝ સ્ટ્રેટને ઑઇલ ટૅન્કરો તથા વાણિજ્યિક જાહજો સહિત તમામ પ્રકારનાં વહાણોના આવાગમન માટે બંધ જાહેર કરવામાં આવે છે. તથા અહીંથી પસાર થતાં કોઈ પણ જહાજોને નિશાન બનાવાશે."

ફાર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આઈઆરજીસી નૌકાદળે દાવો કર્યો છે કે તેમણે હોર્મુઝ સ્ટ્રેટમાં બે જહાજોને નિશાન બનાવ્યાં છે. જે જલડમરુમધ્યથી ગેરકાયદે પસાર થવાનો ઇરાદો ધરાવતાં હતાં.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું, "મહત્ત્વપૂર્ણ બુનિયાદી ઢાંચા લોકોની જીવનરેખા હોય છે. ટ્રાંસપૉર્ટથી લઈને વીજળી અને પાણીનાં ઠેકાણાંને નિશાન બનાવવાની ધમકી તાકતનું પ્રદર્શન નહીં, પરંતુ કોઈ પણ દેશના દૃઢ સંકલ્પની સામે હતાશાની નિશાની છે."

તેમણે કહ્યું કે ઈરાન પોતાના વિશેષજ્ઞોની જાણકારી, તેમની ક્ષમતા, રાષ્ટ્રીય એકતા અને એકજુટતાને કારણે કોઈના દબાણ કે ધમકીનો સામનો કરશે.

તસનીમ ન્યૂઝ એજન્સીએ એક સૈન્ય અધિકારીના હવાલે કહ્યું, "ઈરાન અમેરિકાના સૈન્ય આક્રમણનો જવાબ આપશે અને અમેરિકનોની ધમકીઓ અને સૈન્ય મૂર્ખતાની સામે ઘૂટણે નહીં પડે."

14 કુકીઓને મુક્ત કર્યાના એક દિવસ પછી મણિપુરમાં છ નાગા સમુદાયના લોકોના મૃતદેહ મળી આવ્યા

9મી જૂને મણિપુરમાં 14 કુકી બંધકોને મુક્ત કર્યાના એક દિવસ પછી, પોલીસે બુધવારે છ નાગા સમુદાયના લોકોના મૃતદેહ શોધી કાઢ્યા છે. આ લોકો ઘણા દિવસોથી લાપતા હતા.

બીબીસી સહયોગી દિલીપકુમાર શર્માએ આ માહિતીની પુષ્ટિ કરી છે.

મણિપુર પોલીસે બુધવારે જણાવ્યું હતું કે 13મેના રોજ કથિત રીતે અપહરણ કરાયેલા છ નાગા સમુદાયના પુરુષોના મૃતદેહ મળી આવ્યા છે. આ મૃતદેહો કાંગપોકપી જિલ્લાના ખારમ વૈફેઈ ગામ નજીકથી મળી આવ્યા હતા.

મણિપુર પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું, "પોલીસે, CRPF અને આસામ રાઇફલ્સના કુલ 450 જવાનો સાથે, સ્નિફર ડૉગ્સ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમોની મદદથી, લગભગ 24 કલાક સુધી સતત શોધખોળ કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ, આજે (બુધવાર) બપોરે છ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે મૃતકો તે લોકો છે જેમને 13 મે, 2026 ના રોજ લેઇલન વાઇફેઇ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા."

હકીકતમાં, ફેબ્રુઆરીમાં મણિપુરમાં તાંગખુલ નાગા અને કુકી સમુદાયો વચ્ચે ફરી ફાટી નીકળેલી હિંસામાં ઘણા લોકો માર્યા ગયા છે. આ હિંસા નાગા પ્રભુત્વ ધરાવતા ઉખરુલ જિલ્લામાં શરૂ થઈ હતી અને ત્યારથી તેની આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા પર અસર પડી છે.

13મેના રોજ, ત્રણ ચર્ચ નેતાઓની હત્યા બાદ, સશસ્ત્ર જૂથોએ કાંગપોક્પી અને સેનાપતિ જિલ્લામાં કુકી અને નાગા સમુદાયના ઓછામાં ઓછા 48 નાગરિકોને બંધક બનાવ્યા હતા.

જોકે, 15મેના રોજ મણિપુર પોલીસે દાવો કર્યો હતો કે અપહરણ કરાયેલા 28 લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. મંગળવારે કુકી સમુદાયના 14 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, બુધવારે છ નાગા લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

મંગળવારે જ્યારે નાગા લોકોના મુખ્ય સંગઠન યુનાઇટેડ નાગા કાઉન્સિલે 14 કુકી લોકોને મુક્ત કર્યા, ત્યારે તેણે સરકાર પાસેથી ખાતરી માંગી હતી કે તેમના છ ગુમ થયેલા લોકોને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવશે.

નાગા કાઉન્સિલે જણાવ્યું હતું કે મંગળવારે અટકાયતમાં લેવામાં આવેલા 14 કુકીઓને બાપ્ટિસ્ટ વર્લ્ડ કૉમ્યુનિટી, નાગા ચર્ચ, આદિવાસીઓ અને વિવિધ સંગઠનોની અપીલ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.

નાગા લોકોના મૃતદેહો મળવાથી, ખાસ કરીને સરહદી ગામડાંમાં, તણાવ વધુ વધવાની શક્યતા છે.

ઘટનાની તપાસ કરી રહેલી પોલીસ જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરી રહી છે અને ઘણી જગ્યાએ સુરક્ષા ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

17 વર્ષ સુધી વિમાન ઉડાડનાર પાઇલટનું લાઇસન્સ નકલી હોવાનું બહાર આવ્યું, ઍર કૅનેડાએ શું કહ્યું?

ઍર કૅનેડાના ભૂતપૂર્વ પાઇલટ પર એવો આરોપ છે કે તેણે 17 વર્ષ સુધી માન્ય લાઇસન્સ વગર ઘણી વાર પૅસેન્જર વિમાનો ઉડાડ્યા હતા.

ઍર કૅનેડાએ જણાવ્યું હતું કે ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ગત વર્ષે પાઇલટને તાત્કાલિક ફરજ પરથી હઠાવી દેવામાં આવ્યા હતા. ઍરલાઇને એમ પણ કહ્યું હતું કે તેણે ટ્રાન્સપૉર્ટ કૅનેડાને આ બાબતની જાણ કરી હતી.

કૅનેડાના ઑન્ટારિયોના 59 વર્ષીય જ્યૉફ્રી વૉલ હવે છેતરપિંડી સંબંધિત અનેક આરોપોનો સામનો કરી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તે 2009થી નકલી દસ્તાવેજો સાથે પૅસેન્જર ફ્લાઇટ્સ ઉડાવી રહ્યા હતા. તે જ વર્ષે તેમને કૅપ્ટનના હોદ્દા પર પણ બઢતી આપવામાં આવી હતી. કૅપ્ટન બન્યા પછી પણ તે તેની લાયકાત વિશે ખોટી માહિતી આપી રહ્યો હતો.

આ પદ માટે પાઇલટ પાસે ઍરલાઇન ટ્રાન્સપૉર્ટ પાઇલટ લાઇસન્સ હોવું જરૂરી છે, જે લેખિત પરીક્ષાઓ પાસ કરીને મેળવવામાં આવે છે.

આ ઘટના બાદ, ઍરલાઇને સંબંધિત પાઇલટ્સ સાથે જોડાયેલી ઉડાણોને લઈ સ્પષ્ટીકરણ પણ આપ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રવાસીઓની સુરક્ષા ક્યારેય ખતરામાં નહોતી.

ઍર કૅનેડાએ જણાવ્યું છે કે બધા પાઇલટ્સ દર છ મહિને તાલીમ લે છે.

પીલ રિજનલ પોલીસ ડેપ્યુટી ચીફ નિક મિલિનોવિચે જણાવ્યું હતું કે ગેરકાયદેસર લાયસન્સ કેસના આરોપી વૉલ 27 વર્ષથી ઍર કૅનેડામાં હતા, તેમણે 1998માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

મિલિનોવિચે કહ્યું, "આ એક એવા ડૉક્ટર જેવું છે જેની પાસે જનરલ મેડિસિન પ્રૅક્ટિસ કરવાનું લાઇસન્સ છે પણ તેઓ પોતાના ક્લિનિકમાં મગજની સર્જરી કરતા હોય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન