You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગીર પૂર્વ વન વિભાગમાં છેલ્લા ચાર મહિનામાં 75 ગુના નોંધાયા - ન્યૂઝ અપડેટ
ગુજરાતના વન વિભાગે જાહેર કરેલી પ્રેસ નોટ અનુસાર, ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વન સંપત્તિ અને વન્ય જીવોના સંરક્ષણ માટે છેલ્લા ચાર મહિના દરમિયાન કાર્યવાહી કરવામાં આવી છે.
નાયબ વન સંરક્ષક અધિકારીએ આ બાબતની પૃષ્ટિ કરી હતી.
પ્રેસ નોટ અનુસાર, અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ, શિકાર, લાકડાની બિનઅધિકૃત હેરફેર તેમજ પ્લાસ્ટિક કચરો ફેંકવા જેવા વિવિધ 75 ગુના નોંધીને કુલ 13,30,900 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ 38 ગુના નોંધીને સંબંધિત લોકો પાસેથી 7,76,400 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
વન્ય પ્રાણીઓના શિકાર સંબંધિત કુલ 8 ગુનાઓ નોંધાયા છે. જેમાંથી 4 કેસ કોર્ટમાં રજૂ કરાયા છે અને હાલ ન્યાયિક કાર્યવાહી હેઠળ છે. જ્યારે બાકીના 4 કેસમાં નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરી 2,20,000 રૂપિયાનો દંડ લેવાયો છે.
અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો ફેંકવા તેમજ અનામત વીડીમાં ગેરકાયદેસર પશુ ચરિયાણ કરાવવા બદલ 17 ગુના હેઠળ રૂપિયા 32,500નો દંડ વસૂલાયો છે.
કૅનેડા: ગુરુદ્વારામાં ચાકુબાજીમાં બે લોકો ઘાયલ, વડા પ્રધાન માર્ક કાર્નીએ શું કહ્યું?
શુક્રવારે સવારે કૅનેડાના ઍડમન્ટનમાં એક ગુરુદ્વારામાં ચાકુબાજીની ઘટનામાં બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનાના સંદર્ભમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે સવારે લગભગ 5 વાગ્યે ઍડમન્ટનના મોટા નાનકસર ગુરુદ્વારામાં બની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કે હુમલાનું કારણ જાહેર કર્યું નથી.
કૅનેડાસ્થિત વર્લ્ડ શીખ ઑર્ગેનાઇઝેશને આ ઘટનાને 'ચિંતાજનક' ગણાવી હતી અને સંગઠનનું કહેવું છે કે આ હુમલો દેશમાં વધી રહેલી 'શીખવિરોધી નફરત' વચ્ચે થયો છે.
કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ ઍક્સ પરની એક પોસ્ટમાં આ હુમલાને દુ:ખદ અને આઘાતજનક ગણાવ્યો.
તેમણે લખ્યું, "ઍડમન્ટનના નાનકસર ગુરુદ્વારામાં આજે સવારે થયેલો હુમલો ચિંતાજનક છે. મારી સંવેદનાઓ આ ઘટનામાં ઘાયલ થયેલા તે બે લોકો સાથે છે. સાથે જ મારી સંવેદનાઓ તે સમગ્ર સમુદાય સાથે પણ છે, જે આ ઘટનાથી આઘાતમાં છે."
"કોઈપણ વ્યક્તિએ પોતાના ધાર્મિક સ્થાન પર ક્યારેય અસુરક્ષિતતા અનુભવવી જોઈએ નહીં. હું ઝડપી કાર્યવાહી કરવા બદલ ઍડમન્ટન પોલીસ સર્વિસનો આભાર માનૂં છું."
પોલીસે જણાવ્યું હતું કે એક વ્યક્તિ ગુરુદ્વારામાં ઘૂસી ગઈ અને પ્રાર્થના વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. સ્ટાફે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને તેણે બે પુરુષો પર છરી વડે હુમલો કર્યો.
શુક્રવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં તત્કાલીન ઇન્સ્પેક્ટર એરિક સ્ટીવર્ટે જણાવ્યું હતું કે નજીકમાં હાજર અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીને પકડી લીધો.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલ થયેલા બંને લોકોની ઉંમર 75 અને 51 વર્ષ છે. બંનેને ગંભીર ઈજાઓ પહોંચી નથી અને તેમની હાલત સ્થિર છે.
રાહુલ ગાંધીના પોલીસ સ્ટેશન પહોંચવા પર સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું?
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને આ અંગે ભાજપનાં નેતા સ્મૃતિ ઈરાનીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં રાહુલ ગાંધીને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું , "રાહુલ ગાંધીએ ક્યારે પોતાને અદાલતોના અધિકારને આધીન માન્યા છે? ગાંધી પરિવાર પોતાને સંસદ, સુપ્રીમ કોર્ટ અને દેશના કાયદાથી પણ ઉપર સમજે છે. આવી સ્થિતિમાં તેમની નજરમાં પોલીસ સ્ટેશનની શું હેસિયત છે?"
તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીએ વારંવાર રાહુલ ગાંધીને આ મુદ્દા પર ચર્ચા કરવા અને પ્રશ્નો પૂછવા માટે આવવા કહ્યું હતું.
સ્મૃતિ ઈરાનીના મતે, ગૃહમંત્રીએ કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીના દરેક પ્રશ્નનો જવાબ આપશે.
ભાજપના નેતાએ રાહુલ ગાંધીને પ્રશ્ન કર્યો કે શું તેમણે ક્યારેય અર્ધસૈનિક દળો અને પોલીસ પર હુમલો કરનારાઓ સામે તપાસની માગ કરી છે. તેમણે એમ પણ પૂછ્યું કે શું તેમણે સૈન્યનું અપમાન કરનારાઓ સામે તપાસની માગ કરી છે.
તેમણે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસના નેતાએ આ મુદ્દાનો ઉપયોગ રાજકીય લાભ મેળવવા માટે કર્યો, જ્યારે કેસ પહેલાંથી જ તપાસ હેઠળ હતો.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાહુલ ગાંધી 20 જુલાઈના રોજ સંસદ કૂચ દરમિયાન સાહિલ લોચબને થયેલી ઈજાઓ અંગે એફઆઇઆર નોંધાવવા માટે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ગયા હતા. એવો આરોપ છે કે સાહિલ 20 જુલાઈના રોજ પૅલેટ ગનથી ઘાયલ થયા હતા.
સાહિલ લોચબ દ્વારા રજૂ કરાયેલી લેખિત પોલીસ ફરિયાદના આધારે એફઆઇઆર દાખલ કરવાની માગ સાથે તેઓએ પોલીસ સ્ટેશનની બહાર ધરણા કર્યા. જોકે, બાદમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
યુક્રેનમાં રશિયાના ડબલ-ટેપ ડ્રોન હુમલામાં 15 લોકોનાં મોત, ઝેલેન્સકીએ શું કહ્યું?
રશિયન ડ્રોન હુમલામાં યુક્રેનના ક્રિવી રીહ શહેરમાં એક શૉપિંગ સેન્ટરમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 23 બાળકો સહિત 130 લોકો ઘાયલ થયા છે. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે આ હુમલો તેમના હોમ ટાઉનમાં દિવસ દરમિયાન બે તબક્કામાં થયો હતો. તેમણે તેને "અત્યંત નિંદનીય અને ઘૃણાસ્પદ" ગણાવ્યો.
ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, બીજા ડ્રોન હુમલામાં બચાવ કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેઓ પહેલા હુમલા પછી સ્થળ પર રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા હતા.
બીબીસીએ એક વીડિયો વેરીફાઈ કર્યો છે જેમાં બીજા ડ્રોન દ્વારા પહેલાંથી જ સળગતા શૉપિંગ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો યુક્રેનના દ્રિનપ્રોપેત્રોવસ્ક વિસ્તારમાં થયો હતો. રશિયાની સેનાએ હજુ સુધી આ હુમલા પર કોઈ ટિપ્પણી કરી નથી.
દ્રિનપ્રોપેત્રોવસ્ક વિસ્તારના પ્રમુખ ઓલેક્જાન્દ્ર હાન્ઝાએ શુક્રવારે સાંજે જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે. તેમાં બે લોકોનો એવા છે જેમનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 130 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 29 લોકોની હાલત ગંભીર છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.
યુક્રેનના અન્ય ચાર વિસ્તારોમાંથી બચાવ ટીમોને પણ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે તાત્કાલિક ક્રિવી રીહ મોકલવામાં આવી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન