You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં ઉપરાઉપરી મજબૂત સિસ્ટમ, પણ શું ગુજરાતમાં વરસાદ આવશે?
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ અટકી ગયો છે, તો કેટલાક જિલ્લાઓમાં બિલકુલ દુષ્કાળ જેવી સ્થિતિ છે.
ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ વરસાદ હજુ પણ ખેંચાઈ રહ્યો છે.
વાતાવરણમાં કોઈ મોટું પરિવર્તન જોવા મળી રહ્યું નથી અને કેટલાક વિસ્તારોમાં પાણીની તંગીની પણ શરૂઆત થઈ ગઈ છે.
બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ
આ વર્ષે બંગાળની ખાડીમાં ઘણી સિસ્ટમ બની છે પરંતુ ગુજરાત તરફ એ આવી નથી. તેના કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારનો જ વરસાદ પડે છે.
બંગાળની ખાડી નજીક પશ્ચિમ બંગાળ, ઓડિશા આસપાસ એક લૉ-પ્રેશર એરિયા બનેલો છે.
આ સિસ્ટમ થોડી આગળ વધશે ત્યારે આજે તથા આવતીકાલે થોડો વરસાદ પૂર્વ ગુજરાતના અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે. પરંતુ એ હળવાથી મધ્યમ પ્રકારનો જ વરસાદ હોઈ શકે છે.
આજે મહિસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વલસાડ, નવસારી, સુરત, ડાંગ, ભરૂચ સહિતના જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.
આ સિવાય ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, પાટણ, મહેસાણા સહિતાના વિસ્તારોમાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક પછી એક સિસ્ટમ બંગાળની ખાડીની આસપાસ લગભગ 3 સપ્ટેમ્બર સુધી બનેલી રહેશે, પરંતુ ગુજરાત પર તેની કોઈ ખાસ અસર જોવા નહીં મળે.
ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં વરસાદની ઘટ
સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં 22 ઑગસ્ટ સુધીમાં સરેરાશ 27 ટકા વરસાદની ઘટ જોવા મળી છે.
સમગ્ર ગુજરાતની વાત કરીએ તો વરસાદની ઘટ સરેરાશ ચાર ટકા જોવા મળી છે.
કચ્છમાં વરસાદની ઘટ 54 ટકા, જામનગરમાં 55 ટકા, રાજકોટમાં 25 ટકા, ગીર-સોમનાથમાં 33 ટકા અને જૂનાગઢમાં 30 ટકા ઘટ છે.
આ સિવાય દાહોદ અને અરવલ્લીમાં 36 ટકા તથા સાબરકાંઠામાં 35 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
આ તમામ જિલ્લામાં વરસાદ ન આવવાને કારણે ગંભીર સમસ્યા સર્જાઈ છે.
અગાઉ અપાયેલી ચેતવણી પ્રમાણે ચોમાસા પર અસર
ભારત સહિત ગુજરાતમાં હાલના સમયમાં ચોમાસાની ગતિવિધિઓ છૂટીછવાઈ જોવા મળી રહી છે. ભારતમાં શરૂઆતમાં ચોમાસા અંગે જે ચેતવણી અપાઈ હતી એ પ્રમાણેની અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
એક કારણ એ પણ ગણાવાઈ રહ્યું છે કે ઇન્ડિયન ઑશન ડાયપોલ (આઇઓડી)ની સ્થિતિ નબળી પડી રહી છે અને એની સામે અલ-નીનો વધુ તીવ્ર બની રહ્યો છે.
તાજેતરના મહાસાગરીય નિરીક્ષણના આંકડા દર્શાવે છે કે આઇઓડી સતત બીજા અઠવાડિયે નબળી પડી છે. તેનો સૂચકાંક હવે +0.18 ડિગ્રી સેલ્સિયસ સાથે તટસ્થ (ન્યૂટ્રલ) પરિસ્થિતિમાં પહોંચી ગયો છે.
સામાન્ય રીતે સકારાત્મક આઇઓડી ભારતમાં અલ-નીનોની કેટલીક નકારાત્મક અસરોને સંતુલિત કરવામાં મદદરૂપ બને છે, કારણ કે તે ઉપખંડના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધારવામાં મદદરૂપ બને છે.
હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર, અલ-નીનો આગામી સમયમાં વધુ તીવ્ર બની શકે છે અને તેની હવામાન પર અસર થઈ શકે છે. ભારતમાં વરસાદ પર તેની મોટી અસર પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન