જંતર-મંતર : પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ અંગે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

દિલ્હી પોલીસે જણાવ્યું કે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે તબક્કાવાર રીતે બળનો ઉપયોગ કર્યો હતો. (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Pradeep Gaur/SOPA Images/LightRocket via Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હી પોલીસે જણાવ્યું કે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે તબક્કાવાર રીતે બળનો ઉપયોગ કર્યો હતો. (ફાઇલ ફોટો)
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

દિલ્હી પોલીસે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને વિદ્યાર્થી વિરોધપ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ પર વધારે બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાના આરોપોને નકારી કાઢ્યા છે.

ડીસીપી સચિન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબી સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભીડે બૅરિકેડિંગ તોડી નાખી અને સંસદ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો, ત્યારે વિરોધપ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું નહોતું.

સોગંદનામા અનુસાર, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે તબક્કાવાર રીતે બળનો ઉપયોગ કર્યો હતો.

લાઇવ લૉના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું છે કે આશરે 5,000 પોલીસકર્મીઓ લગભગ ત્રણ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી 30,000થી વધુ લોકોની ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પોલીસે વધુમાં જણાવ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ બહાર જતાં પ્રદર્શનકારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં બંને પક્ષોના લોકો ઘાયલ થયા હતા.

પોલીસ દ્વારા કથિત રીતે કરવામાં આવેલી જબરજસ્તી અંગે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ પર સુનાવણી થઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, "આ દરમિયાન 240થી વધુ પોલીસકર્મીઓ અને યુનિફૉર્મધારી અધિકારીઓ ઘાયલ થયા હતા, જ્યારે લગભગ 200 સામાન્ય નાગરિકો અને પ્રદર્શનકારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા."

પોલીસે એ પણ દાવો કર્યો કે વિરોધપ્રદર્શનમાં કેટલાંક અસામાજિકતત્ત્વો અને હિસ્ટ્રીશીટરો પણ સામેલ થઈ ગયાં હતાં.

દિલ્હી પોલીસે વધુમાં કહ્યું છે કે સંસદ માર્ચ માટે કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી. તેથી, પોલીસના મતે આ ભેગા થવું (જમાવડો) ગેરકાયદેસર હતું.

પોલીસે અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ પર પણ સવાલો ઉઠાવ્યા છે.

સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે અરજીઓમાં પસંદગીની તસવીરો, અધૂરી વિડિયો ક્લિપ્સ, અપ્રમાણિત મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર આધાર રાખવામાં આવ્યો છે.

હોર્મુઝ સામુદ્રધુનીમાંથી બહાર નીકળતી વખતે જહાજ પર હુમલો, એક ક્રૂ સભ્યનું મોત

હોર્મુઝ સામુદ્રધુનીમાંથી બહાર નીકળતી વખતે જહાજ પર હુમલો, એક ક્રૂ સભ્યનું મોત -ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Handout / ROYAL THAI NAVY / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, હોર્મુઝ સામુદ્રધુનીમાંથી બહાર નીકળતી વખતે એક જહાજ પર અજ્ઞાત પ્રોજેક્ટાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. (પ્રતીકાત્મક તસવીર)

બ્રિટિશ મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ ઑર્ગેનાઇઝેશન (UKMTO) અનુસાર, આ હુમલામાં જહાજના ઍન્જિન રૂમને નુકસાન પહોંચ્યું છે અને એક ક્રૂ સભ્યનું મૃત્યુ થયું છે.

UKMTOએ જણાવ્યું કે ઘટનાના બાદ ઓમાન કોસ્ટ ગાર્ડ બાકીના ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવવા માટે રાહત અને બચાવ કામગીરીમાં જોડાયું છે.

સંસ્થાએ વધુમાં જણાવ્યું કે આ ઘટનાની તપાસ સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને હુમલા પાછળ કોણ જવાબદાર છે તે અંગે હજી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલમાં માત્ર મર્યાદિત સંખ્યામાં જહાજો આ માર્ગનો ઉપયોગ કરી રહ્યાં છે.

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ તથા યુદ્ધ શરૂ થાય તે પહેલાં, આ મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગમાંથી દરરોજ 130થી વધુ જહાજો પસાર થતાં હતાં, પરંતુ સુરક્ષા ચિંતાઓને કારણે હવે આ સંખ્યામાં ઘટાડો નોંધાયો.

અમિત શાહનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

અમિત શાહનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Anshuman Poyrekar/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સોમવારે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે ભારતે પોતાના દેશમાં થયેલી કેટલીક ધરપકડોને પાકિસ્તાન સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.

પાકિસ્તાને કહ્યું કે ભારત પોતાની આંતરિક સુરક્ષાને લગતી પડકારજનક પરિસ્થિતિઓથી લોકોનું ધ્યાન ભટકાવવા અને રાજકીય લાભ મેળવવા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અન્દ્રાબીએ સોમવારે જણાવ્યું, "આ પ્રકારનો પ્રચાર પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ખોટા અભિયાનનું વધુ એક ઉદાહરણ છે. ભારત પોતાના આંતરિક સુરક્ષા સંકટ પરથી ધ્યાન હઠાવવા અને સ્થાનિક રાજકીય હિતો માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યું છે."

તેમણે વધુમાં કહ્યું, "ભારત એવો દેશ છે જ્યાં લઘુમતિઓ પર ગંભીર અત્યાચાર થાય છે અને વિરોધના અવાજોને દબાવવામાં આવે છે. ભારત દેશની બહાર આતંકવાદ ફેલાવવાનું અને આતંકવાદીઓને મદદ કરવાનો પણ પ્રયત્ન કરે છે."

તાહિર અન્દ્રાબીએ કહ્યું, "પાકિસ્તાને વારંવાર એવા પુરાવા રજૂ કર્યા છે કે ભારત આતંકવાદ અને અસ્થિરતા ફેલાવતી પ્રવૃત્તિઓમાં સામેલ છે. ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કમાન્ડર કુલભૂષણ જાધવ, જેમને દોષિત ઠરાવવામાં આવ્યા છે અને જે સજા ભોગવી રહ્યા છે, તેઓ પાકિસ્તાનમાં ભારતના સીધા હસ્તક્ષેપ અને આતંકવાદ સાથેના સંબંધોના સ્પષ્ટ પુરાવા છે."

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું, "પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરે છે કે તે ભારતના બિનઆધારભૂત આરોપોને નકારી કાઢે અને વિસ્તારમાં ભારત દ્વારા પ્રોત્સાહિત આતંકવાદ માટે તેને જવાબદાર ઠેરવે."

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે ભારતીય સુરક્ષા દળોએ સ્વતંત્રતા દિવસ પહેલાં 14 રાજ્યોમાં વિશેષ અભિયાન ચલાવી પાકિસ્તાન સ્થિત 'ISI-સમર્થિત શહજાદ ભટ્ટી નેટવર્ક'ને નષ્ટ કરી દીધું છે અને તેના 200થી વધુ ઑપરેટિવ્સની ધરપકડ કરી છે.

ટ્રમ્પે જ્ઞાનેશકુમારનો ઉલ્લેખ કરીને ભારતની ચૂંટણી વ્યવસ્થા વિશે શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનો ઉલ્લેખ કર્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનો ઉલ્લેખ કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા કરતા અમેરિકામાં મતદાનના નિયમોમાં ફેરફાર કરવાની પોતાની માંગ ફરીથી વ્યક્ત કરી છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અમેરિકામાં પણ ભારત જેવી ચૂંટણી વ્યવસ્થા હોવી જોઈએ.

તેમણે ખાસ કરીને ભારતની ચૂંટણીમાં માન્ય ફોટો ઓળખપત્ર ફરજિયાત હોવાનો ઉલ્લેખ કર્યો.

ટ્રમ્પે ભારતની 2024 લોકસભા ચૂંટણીનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે અમેરિકામાં પણ આવી જ વ્યવસ્થા અમલમાં મૂકવી જોઈએ. તેમણે કહ્યું કે તે માટે રિપબ્લિકન પાર્ટી દ્વારા રજૂ કરાયેલ "SAVE America Act" જલદીથી પસાર થવો જોઈએ.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "આ મહિનાની શરૂઆતમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે અમારા પ્રશાસનને પૂછ્યું હતું કે તમે અમેરિકા માં માન્ય ફોટો ઓળખપત્ર વિના ચૂંટણી કેવી રીતે યોજી શકો છો? ભારતની છેલ્લી ચૂંટણીમાં 64.6 કરોડ મતદાતાઓ હતા. તેમાંના 1% કરતાં પણ ઓછા લોકોએ ટપાલ (મેઇલ) દ્વારા મતદાન કર્યું હતું અને દરેક મતદાતા માટે માન્ય ફોટો ઓળખપત્ર હોવું જરૂરી હતું. હવે આપણને SAVE America Act પસાર કરવો જ જોઈએ."

ઝારખંડ : પરીક્ષા રદ થયા પછી પણ આંદોલન કેમ યથાવત્, વિદ્યાર્થી નેતાએ આપી આ માહિતી

ઝારખંડ : પરીક્ષા રદ થયા પછી પણ આંદોલન કેમ યથાવત્, વિદ્યાર્થી નેતાએ આપી આ માહિતી – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, પરીક્ષા રદ થયા પછી પણ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમનું આંદોલન હજુ ચાલુ રહેશે.

ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે મુખ્ય મંત્રી હેમંત સોરેને સોમવારે JPSC-14 અને JSSC-CGL પરીક્ષાઓ રદ કરવાનું ઍલાન કર્યું છે. તેમ છતાં, વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમનું આંદોલન હજુ પણ ચાલુ છે.

વિદ્યાર્થી નેતા રવિન્દ્ર પાસવાને જણાવ્યું, "મંત્રી દીપિકા પાંડે અને ઇરફાન અંસારી થોડા સમય પહેલાં અહીં આવ્યાં હતાં. તેમણે અમને અપીલ કરી હતી કે આ આંદોલન અને ઉપવાસ સમાપ્ત કરવામાં આવે. પરંતુ CBI તપાસ સંબંધિત અમારી માંગ અંગે સરકાર હજુ સુધી સંમત થઈ નથી."

તેમણે આગળ કહ્યું, "સરકાર તરફથી જે પણ સત્તાવાર સૂચના (નૉટિફિકેશન) બહાર પડશે, અમે પ્રથમ તેનો અભ્યાસ કરીશું. ત્યારબાદ અમારા આંદોલનની આગળની રણનીતિ વિશે નિર્ણય લઈશું. અમારી મુખ્ય માંગ છે કે સમગ્ર મામલે CBI તપાસ થવી જોઈએ."

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સરકારે TDPL દ્વારા આયોજિત પરીક્ષાઓની તપાસ કરાવવાની વાત કરી હતી. હવે મુખ્ય મંત્રીએ સ્પષ્ટ રીતે પરીક્ષાઓ, તેમનાં પરિણામો અને પસંદગી પ્રક્રિયા સુધીને પણ રદ કરવાની વાત કહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન